વર્ષ 1757માં પ્લાસીના યુદ્ધમાં જીત મેળવતાની સાથે જ અંગ્રેજોએ ભારતમાં તેમના આશરે 200 વર્ષના સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. દેશને સ્વતંત્રતાના લક્ષ્યાંક સુધી લઈ જવામાં અનેક એવી ઘટનાઓ અને સેંકડો લોકોના બલિદાન સામેલ હતા કે જે ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલા છે. આજે આપણે અત્યંત મહત્વની કહી શકાય એવી 10 ઘટના વિશે વાત કરશું કે જેણે બ્રિટીશ સામ્રાજ્યના પાયાને હચમચાવી નાંખ્યા હતા.
1. વર્ષ 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ.
2. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના.
3. બંગાળના વિભાજનનો વિરોધ.
4. મહાત્મા ગાંધીનું ભારતમાં આગમન.
5. જલિયાવાલા બાગ નરસંહાર.
6. ખિલાફત આંદોલન
7. સવિનય કાનૂન ભંગની ચળવળ
8. દિલ્હી વિધાનસભામાં બોમ્બ ફેકવામાં આવ્યો.
9. ભારત છોડો આંદોલન.
10. આઝાદ હિંદ ફોજ- તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હૈ આઝાદી દુગા
1. વર્ષ 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ.
વર્ષ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ મેરઠમાં સૈનિકોના વિરોધથી શરૂ થયો હતો. તે 10 મે 1857ના રોજ શરૂ 34મી બંગાળ નેટીવ ઈન્ફ્રન્ટ્રી કંપનીના સૈનિક મંગલ પાંડેએ એક સૈનિક તરીકે એનફીલ્ડ રાઈફલમાં લાગતા કારતૂસમાં ગાય અને સુવરની ચરબીના ઉપયોગના વિરોધથી થયો હતો. આ રાઈફલનો મોંઢાથી તોડીને ઉપયોગ કરવો પડતો હતો. આ સંગ્રામ બે વર્ષ સુધી ભારતના વિવિધ વિસ્તારોમાં ફેલાયો હતો. તેમા નાના સાહેબ, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો. આ સંગ્રામે ભારતીય સ્વતંત્રતાનો પ્રથમ સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે.
2. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના
28 ડિસેમ્બર, 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બોમ્બેમાં સ્થાપના થઈ હતી. તેના સ્થાપક મહાસચિવ એઓ હ્યૂમ હતા. હ્યૂમ, દાદાભાઈ નવરોજી અને દિનશા વાચા વગેરે અગ્રણી નેતાઓ દ્વારા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. અંગ્રેજો સમક્ષ શરતો રજૂ કરવા તથા વાતચીત શરૂ કરવામાં આવી. વર્ષ 1885માં સ્થાપના સમયે 72 પ્રતિનિધિ હતા. વર્ષ 1947માં સ્વતંત્રતા આંદોલનના અંત સુધીમાં 15 મિલિયનથી વધારે સભ્યો સાથે તે એક મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. વર્ષ 1906માં કોલકાતામાં કોંગ્રેસના અધિવેશનમાં સ્વરાજ પ્રાપ્તિ અંગે જાહેરાત કરવામાં આવી. આ સાથે સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ.
3. બંગાળના વિભાજનનો વિરોધ
અંગ્રેજોને પોતાની ઉપર ભારતમાં બે મુદ્દે ખૂબ જ જોખમ લાગેલું. એક હિંદુ-મુસ્લિમની એકતા અને બીજું વહિવટી કારણ. આ સંજોગોમાં અંગ્રેજોએ બંગાળનું વિભાજન કરવાની તે સમયના વાઈસરોય લોર્ડ કર્જને 19 જુલાઈ,1905ના રોજ જાહેરાત કરેલી. આ સાથે અંગ્રેજોએ દેશની રાજધાની કોલકાતાથી બદલી દિલ્હી કરવાનો પણ નિર્ણય લીધેલો. બંગાળ વિભાજન સામે સર્જાયેલા આંદોલનને દબાવવા માટે અંગ્રેજોએ વર્ષ 1909માં કેટલાક સુધારા લાગૂ કર્યાં. આ પૈકી માર્લે-મિંટો સુધારો પણ રજૂ કરવામાં આવેલો. તેનો ઉદ્દેશ વિકાસને બદલે હિંદુ અને મુસ્લિમો વચ્ચે મતભેદનું સર્જન કરવાનો હતો.
4. મહાત્મા ગાંધીનું ભારતમાં આગમન
મોહનદાસ કરમચંદ ગાંધી વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકામાં પોતાના જામી ગયેલા બેરિસ્ટર તરીકેના વ્યવસાયને છોડી દેશમાં પરત આવેલા. જ્યારે મોહનદાસ મુંબઈના એપોલો બંદર પર ઉતર્યાં ત્યારે તેઓ મહાત્મા કે બાપુ ન હતા. તેમણે દેશમાં અંગ્રેજોના અત્યાચાર સામે ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, સ્વદેશી આંદોલન, અસહયોગ આંદોલન, સવિનય કાનૂન ભંગ આંદોલન, ભારત છોડો આંદોલન મારફતે ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.આ જ કારણથી પહેલા તેઓ ગાંધીના નામથી પ્રસિદ્ધ થયા અને ત્યારબાદ પોતાના મૂળ નામ કરતાં વધારે રાષ્ટ્રપિતા અથવા મહાત્મા ગાંધીના નામથી ઓળખાવા લાગ્યા.
5. જલિયાવાલા બાગ નરસંહાર
13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરના નૈતૃત્વમાં સૈનિકોની ટૂકડી શસ્ત્રવિહિન, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકો પર ગોળીયો ચલાવી અને તેમને મારી નાંખ્યા. હજારો લોક ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ ભારતમાં સ્વતંત્રતા આંદોલનનો સ્વર બદલી નાંખ્યો. આ ઘટના ભગતસિંહ જેવા યુવાનોને આઝાદીની ચળવળ તરફ દોરી ગઈ.
6. ખિલાફત આંદોલન
અંગ્રેજ હુકૂમત બેડીઓ તોડવાના ભારતના પ્રયત્નોમાં ખિલાફત આંદોલન અત્યંત મહત્વપૂર્ણ આંદોલન પૈકી એક હતું. ભારતમાં ખિલાફત આંદોલન વર્ષ 1915થી 1924 સુધી ચાલેલું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની દેખરેખમાં હિન્દુઓ અને મુસ્લિમોએ એકજૂટ થઈ બ્રિટીશ રાજનો વિરોધ કર્યો.
7. સવિનય કાનૂન ભંગની ચળવળ
બ્રિટીશ સામ્રાજ્યવાદ સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા મહત્વના જન આંદોલન પૈકી એક સવિનય અવજ્ઞા આંદોલન છે. વર્ષ 1929 સુધી ભારતને બ્રિટનના ઈરાદા પર આશંકા થવા લાગી હતી કે અંગ્રેજો સ્વરાજ આપવાની પોતાના તરફથી જાહેરાત કરશે નહીં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લાહોર અધિવેશન,1929માં જાહેરાત કરી હતી કે તેમનો લક્ષ્ય ભારત માટે સંપૂર્ણ સ્વાધિનતા પ્રાપ્ત કરવાનો છે. મહાત્મા ગાંધીએ પોતાની માગ પર ભાર આપવા માટે 6 એપ્રિલ 1930ના રોજ સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કર્યું. તેનો ઉદ્દેશ સરકાર સાથે સંપૂર્ણ અસહયોગ કરી બ્રિટીશ સરકારને ઝૂકવી દેવાનો છે.
8. દિલ્હી વિધાનસભામાં બોમ્બ ફેકવામાં આવ્યો
નિરંકૂશ અને ભેદભાવયુક્ત શાસન સામે માનવતા, ભાઈચારા, પરસ્પર પ્રેમ અને સમાનતાના હેતુ માટે શાસન સ્થાપિત કરવાના ઉદ્દેશથી 8 એપ્રિલ,1929ના રોજ ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે કેન્દ્રીય એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. બોમ્બ ફેક્યા બાદ તેઓ ત્યાંથી ભાગ્યા ન હતા. ત્યારબાદ તેમની સામે કેસ ચાલ્યો હતો. 6 જૂન,1929ના રોજ દિલ્હીના સેશન જજ લિયોનોર્ડ મિડિલ્ટની કોર્ટમાં દોષિત ઠરાવવામાં આવ્યા.
9. ભારત છોડો આંદોલન
ઓગસ્ટ 1942માં ગાંધીજીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી અને ભારત છોડી જવા માટે અંગ્રેજોને મજબૂર કરવા માટે સામૂહિક નાગરિક અવજ્ઞા આંદોલન ‘કરો યા મરો’ આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ સંજોગોમાં અનેક સ્થળો પર તોડફોડ કરી અને હિંસક આંદોલન સ્વરૂપ ધારણ કરેલું. આ માટે અંગ્રેજોએ ગાંધીજીને દોષિત ઠરાવ્યા અને તેમની ધરપકડ કરી લીધી. તેમણે ‘કરો યા મરો’નું સૂત્ર આપ્યું. આ આંદોલન ઓગસ્ટ ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે.
10. આઝાદ હિંદ ફોજ- તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હૈ આઝાદી દુગા
સુભાષચંદ્ર બોઝના નૈતૃત્વમાં 21 ઓગસ્ટ 1943માં આઝાદ હિંદ સરકારની રચના કરવામાં આવી હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોઝના કમાન્ડર તરીકે ભારતની અસ્થાઈ સરકાર બનાવી. આ સાથે જર્મની, જાપાન, ફિલિપાઈન્સ, કોરિયા, ચીન, ઈટાલી અને આયર્લેન્ડ દ્વારા માન્યતા આપવામાં આવેલી. સુભાષચંદ્ર બોઝનું માનવું હતું કે અંગ્રેજોના મજબૂત શાસનને ફક્ત સશસ્ત્ર સ્વાતંત્ર સંગ્રામ મારફતે જ પડકારી શકાય છે.
No comments:
Post a Comment